Wednesday, April 7, 2010

અક્ષતયૌવનનું ગીત. - વિરુ પુરોહિત

કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

આજ થંભાવી વાટમાં મને કહયું નગરશેઠે :
થાય મને, હું આજથી આવતો જાઉં તમારી વેઠે 
કોઈ કહે : ના નીકળો દેવી ! આટલા ઠાઠમ ઠાઠે,
અમથુંય આખું ગામ તમારું નામ રટે છે પાઠે !

ફાળ પડી'ને પેટીએ બધું ય આજથી પુરતી થૈ
કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

પૂછવા  આવ્યો રાજ-દરોગો આંખમાં ધરી ચીડ,
ગામ છે ઉજ્જડ, કેમ છે તારા ઘરની ઉપર તીડ?
હું ભોળી કંઈ કંઈબોલતા તૂટયા વનના બધા નીડ,
એટલામાં તો માણસો થયા ઘાસનું લીલું બીડ.

મેં કહયું : હું નદીએ ન્હાંતાં માછલી મરી ગૈ !
કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

-વિરુ પુરોહિત

No comments: